અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા.
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લઈ જા,
તું-હીણો હું છું તો, તુજ દરસનાં દાન દઈ જા.
પ્રભુ અંતર્યામી, જીવન જીવના દીન શરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિત કરણા.
પ્રભા કીર્તિ ક્રાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું વંદુ છું, વિમળમુખ સ્વામી જગતના.
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિષે ભાવ જ સ્મરું.
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમા દ્રષ્ટે જોજો, તુજ ચરણમાં નાથજી ધરું.
~ ન્હાનાલાલ